Archive for the ‘My Thought’ Category

વિકિસ્રોત: પ્રથમ વર્ષગાંઠ

બે દિવસ પહેલા તા.31/03/2013ના રોજ અહીં રૂપાયતન ખાતે અમે બધા વિકિપીડીયન્સ ભેગા થઇ, વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી. કેટલાક મહિના પહેલા ઇમેલ આવ્યો કે આપણા વિકિસ્રોતને આગામી 27મી માર્ચે એક વર્ષ પૂર્ણ થાય છે, અને તેના સંદર્ભે આપણે સૌએ તેનો એક કાર્યક્રમ રાખવો જોઇએ. મને એ દિવસો યાદ આવી ગયો, કે જ્યારે અમે લોકો ગુજરાતી વિકિસ્રોત માટે નવા ડોમેઇનની અરજી કરેલ તથા 27મી માર્ચે તે ડોમેઇન એક્ટીવ કરવામાં આવેલ. ત્યારબાદ ધીરે ધીરે વિકિસ્રોત પર બધા કામ કરવા લાગ્યા. શરૂઆત ગાંધીજીના પુસ્તક “રચનાત્મક કાર્યક્રમ”થી કરી. આ પુસ્તકના સ્કેન કરેલા પાનાઓ બધા સક્રીય સભ્યોને ઇમેઇલ પર મોકલવામાં આવ્યા અને બધાએ પોતપોતાના ભાગમાં આવેલ પાનાઓને યુનિકોડ ફોન્ટમાં ટાઇપ કરી, તેને વિકિસ્રોતમાં અપલોડ કર્યાં. એ રીતે ધીરે ધીરે બીજા ઘણા બધા પુસ્તકો પર કાર્ય કર્યું, અને આખા પુસ્તકો વિકિસ્રોત પર ચડાવવામાં આવ્યા. હાલ ગુજરાતી વિકિસ્રોત પર 2407 જેટલી કૃતિઓ અપલોડ થઇ ચુકી છે.

તા.31/03/2013ના રોજ બધા સવારના નવ વાગ્યાની આસપાસ આવવા લાગ્યા હતા. સવારના વહેલા ઉઠી, અને હું કાર્યક્રમની તૈયારી કરવા લાગ્યો, આખરે આખા કાર્યક્રમનો યજમાન તો હું જ હતો ને ! સભાખંડમાં બધુ ગોઠવ્યું તથા પ્રોજેક્ટર ચેક કરી લીધું. થોડીવાર થઇ ત્યાં વ્યોમભાઇ આવી ગયા. ત્યારબાદ અશોકભાઇ પણ આવ્યા. ધીરે ધીરે બધા આવવા લાગ્યા. ધવલભાઇ તથા શુશાંતભાઇ આવ્યા બાદ અમે ધવલભાઇનું લેપટોપ પ્રોજેક્ટર સાથે કનેક્ટ કર્યું. પછી મોબાઇલને લેપટોપ સાથે રીમોટ્લી કનેક્ટ કરવા અમે લોકો ઘણા મથ્યા પણ, તેમાં સફળતા મળી નહીં. ટેક્નોલોજીનો પુરેપુરો ઉપયોગ થાય, અને સ્લાઇડ બદલવા માટે કોઇએ લેપટોપ પાસે બેસવું ન પડે, એટલે મારો એવો આગ્રહ હતો કે આપણે લેપટોપને મોબાઇલ સાથે કનેક્ટ કરી લઇએ. પરંતુ તેમાં નિષ્ફળ જતાં, વ્યોમભાઇને લેપટોપનું સંચાલન કરવા બેસવું પડ્યું. બધાને બસેડ્યા, અને કાર્યક્રમની શરૂઆત કરી. રાવલસાહેબે (વાયરલેસ પી.આઇ. તથા પ્રમુખ, જાયન્ટ્સ ગૃપ) આગલી સાંજે પ્રાથર્ના તેઓ પોતે બોલશે તેમ જણાવેલ, એટલે મેં તેમના માટે હાર્મોનિયમ (પેટી) તૈયાર જ રાખી હતી. તેઓએ પ્રાર્થના ગાઇ સંભળાવી. તેઓ ગાવા (સાહિત્ય)ના શોખીન છે. બધાને ભક્તિમય કરી દીધા. અમે સંચાલન વ્યોમભાઇને સોંપેલ. વ્યોમભાઇએ કાર્યક્રમ આગળ ધપાવતા, બધાનું સ્વાગત કર્યું. ત્યારબાદ વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ હોય, તેની કેક કાપી અને બધાને ખવડાવી. ત્યારબાદ રાવલસાહેબે તેમનું પ્રવચન આપ્યું. અને તેના પછી રૂપાયતનના મેનેજીંગ ટ્રસ્ટી, હેમંતભાઇએ પ્રવચન આપ્યું. તેઓએ અમારા આ કાર્યક્રમને આવકારતા કહ્યું કે રૂપાયતન આવા (સાહિત્યના) કાર્યક્રમને હંમેશા આવકારે છે, અને તેમાં રૂપાયતનનો તન, મન, અને ધનથી સહયોગ રહેશે. તેમણે અમારા જેવા યુવાનોને આવી નવી પ્રવૃતિ કરવા પ્રોત્સાહન આપ્યું. તેઓએ કહ્યું કે અમે તો પાનખર છીએ, પરંતુ આ નવી પેઢી વસંત છે. તે સાહિત્ય માટે કામ કરે છે, અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સાહિત્યની સેવા કરે છે, એ જાણી ખુબ જ આનંદ થાય છે.

This slideshow requires JavaScript.

ત્યારબાદ ધવલભાઇએ તેમનું વિકિસ્રોતના ઇતિહાસ અંગેનું પ્રેઝેન્ટેશન આપ્યુ. જેમાં વિકિસ્રોત જ્યારે અંગ્રેજી વિકિસોર્સમાં હતું, ત્યારથી લઇને તેનું ગુજરાતી ડોમેઇન અસ્તિત્વામાં આવ્યું ત્યારસુધીનો ચિતાર આપતું પ્રેઝેન્ટેશન આપ્યું. ત્યારબાદ શુશાંતભાઇએ વિકિસ્રોત શું છે? તેને કઇ રીતે વાપરવું, તથા સક્રિય સભ્યોનો પરિચય આપતું પ્રેઝેન્ટેશન આપ્યું. ત્યારબાદ લંડન સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીના એક સભ્યનો વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તેનો સંદેશ વિડિયો બતાવવામાં આવ્યો. ત્યારબાદ વિકિસ્રોતના સભ્યોને સર્ટીફીકેટ તથા ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું.

એક નવીન વાત: તે દિવસે અમારા બધાથી અલગ પડે તેવા વિકિસ્રોતના એક સભ્ય; જેને તમે જોતા જ અચરજ થાય કે આ વિકિ સભ્ય હોઇ શક? સફેદ દાઢી, માથે ટોપી, તથા ભગવો વેશ… પહેલી નજરે તો એમ જ લાગ્યું કે આ તો કોઇ સાધુ મહાત્મા ભુલથી અહીં ચડી આવ્યા હશે. પરુંત પુછતાછ કરતાં ખ્યાલ આવે છે કે સાધુ – સ્વામી રાજેશ્વરગીરી છે. જેઓ વિકિના સભ્ય પણ છે. તેઓ વિકિસ્રોતને વાંચે છે, તેનો ઉપયોગ કરે છે, તથા ક્યારેક તેમનું યોગદાન પણ આપે છે. બપોરે જમતી વખતે મેં એ સ્વામીનું ઇન્ટરવ્યૂ લીધુ… તેઓ મોટી પાનેલી ગામે ખોડીયાર આશ્રમમાં રહે છે. તેઓ પોતે મોબાઇલ દ્વારા ઇન્ટરનેટ વાપરે છે. અને મોબાઇલથી જ ફેસબુક, ટ્વીટ્ટર, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, તથા વિકિપીડિયા અને વિકિસ્રોત જેવી વેબસાઇટ સર્ફ કરે છે. મેં તેઓને લેપટોપ લેવા સુચન કર્યું, ત્યારે તેઓએ જવાબ આપ્યો કે અત્યારે મારી પાસે મોબાઇલ છે તે પણ કેટલાકને પસંદ નથી. તેઓ એમ કહે છે કે તમારે (બાવાને) વળી મોબાઇલની શી જરૂર? પણ એક વાત ખરી, કે તેનું યોગદાન નોંધનીય છે.

કાર્યક્રમ પુરો કરી, જમ્યા બાદ બધા થોડીવાર ગુલમહોર નીચે બેઠા બેઠા ડાયરાની જમાવટ કરી. ત્યારબાદ અમે બધા ભવનાથમાં ગયા અને ઠંડુ પી બધા રવાના થયા.

*તાજા કલમ: હમણાં જ થોડીવાર પહેલા હું સિંહો જોઇને આવ્યો છું. એક નહીં, બે નહીં, પુરા 5 સિંહોને શિકાર કરતાં જોયાનો આનંદ હજૂ વિસરાતો નથી. એમ જ થતું હતું કે હજૂ જોતા જ રહીએ.

મારી કર્મભુમી – ભાણવડ

ભાણવડ…,

બે મહિના પછી મારે ભાણવડમાં બે વર્ષ પૂર્ણ થશે. ત્યારથી લઇને આજ સુધી ભાણવડ વિષે મારા આ બ્લોગ પર ઉલ્લેખ કરવાનું વિચારી રહ્યો હતો, પરંતુ યોગ્ય સમય જ નહોતો મળતો. હું ભાણવડમાં તા.05/03/2011ના રોજ હાજર થયો હતો. આમ તો ભાણવડમાં મારા માટે સાવ અજાણ્યું શહેર હતું. આ પહેલાં ક્યારેય ભાણવડ જોયું નહોતું. માત્ર નામ સાંભળ્યું હતું. અહીં ફરવા લાયક ઘણા બધા સ્થળો તથા જગ્યાઓ છે, પરંતુ એમાંની ઘણી બધી જગ્યાએ હજુ સુધી જઇ શકાયું નથી. સમયના અભાવને કારણે ક્યાંય નીકળી શકાતું નથી. રવિવારે રજા હોય, પરંતુ રવિવારે ઘરે આવી જાંઉ છું, એટલે ભાણવડમાં રવિવાર બહુ ઓછા જોયા છે.

This slideshow requires JavaScript.

ભાણવડમાં પુરાતત્વની દ્રષ્ટીએ ઘણા બધા સ્થળો જોવા લાયક છે. પ્રાચીન સ્થળોમાં ઘુમલી તથા મોડપરનો કિલ્લો જોવા લાયક છે. આ ઉપરાંત અહીં શહેરમાં જ આવેલ પ્રખ્યાત વીર માંગળાવાળાની જગ્યા – ભુતવડ, ઇન્દ્રશ્વર મહાદેવનું મંદિર કે જે ત્રીવેણી તરીકે પણ ઓળખાય છે. તથા શહેરથી થોડે દુર આવેલ ગાયત્રી આશ્રમ. હમણાં બે ત્રણ અઠવાડીયા પહેલાં હું ઘુમલી તથા મોડપરના કિલ્લો જોવા ગયો હતો. ઘુમલી સવારના વહેલાં ગયા હતા, તથા મોડપરના કિલ્લે સાંજના સમયે.

ઘુમલીની વાત કરીએ તો પ્રાચીનતમ શહેર તથા રાજધાની. ભાણવડથી થોડે દુર આવેલ ઘુમલી ગામ એક વખતના સમયમાં ગુજરાતની રાજધાની રહી ચુકેલ. આશરે ૭મી સદીમાં ઘુમલી શહેર બાંધવામાં આવ્યું હતું. જેઠવા વંશમાં શ્રીનગર (પોરંબદર)થી ખસેડી અહીં ઘુમલીને જેઠવા રાજની રાજધાની બનાવવામાં આવી હતી. ભાણ જેઠવા હાર્યા ત્યાં સુધી ઘુમલી (આશરે ૧૩૧૩સુધી) રાજધાની તરીકે રહેલ, અને ત્યારબાદ તેને રાણપુર ખાતે ખસેડવામાં આવી. ઘુમલી ખાતે માતા આશાપુરાનું મંદીર આવેલ છે. આ મંદીર પણ પ્રાચની છે.

ઘુમલીમાં આવેલ નવલખો મહેલ ૧૧મી સદીમાં જેઠવા રાજવીઓ દ્વારા બનાવવામાં આવેલ. અહીં આવેલ સૂર્ય મંદીર ગુજરાતનું પ્રાચીનત્તમ સૂર્ય મંદીર મનાય છે. નવલખો એ સમયે નવ લાખના ખર્ચે બંધાયો હોવાનું મનાય છે, કદાચ આથી જ તેનું નામ નવલખો (નવ લાખ) રાખવામાં આવ્યું.

આ ઉપરાંત અહીં મોડપર ગામે એક પ્રાચની કિલ્લો આવેલો છે. ઉપરકોટનો કિલ્લો તો બહુ જ વિશાળ છે, પરંતુ આ કિલ્લો પણ કાંઇ કમ નથી. ભલે વિસ્તારની દ્રષ્ટીએ બહુ નાનો હોય, પરંતુ મોડપરના કિલ્લામાં રાખવામાં આવેલ સુવિધાઓ તથા તેની ગોઠવણી જોવા લાયક છે. મોડપરના કિલ્લામાં પ્રવેશતાની સાથે જ તમારી આંખો સામે તેનો વિશાળ દરવાજો નજરે ચડે. તેનું લાકડાનું વિશાળ બારણું. કેટલું મજબુત. મારે ફોટો પાડવો હતો, એટલે દરવોજ બંધ કરવો હતો, અમે ત્રણ જણ (હું, વાઘેલાભાઇ તથા દિવ્યેશભાઇ) થઇને માંડમાંડ દરવાજો બંધ કર્યો. મને તો ડર લાગતો હતો કે ક્યાંક દરવાજો બંધ તો થઇ જશે, પણ પાછો ખુલશે નહીં તો ? અંદર નાનુ મેદાન છે. જ્યાં ફિલ્મોમાં બતાવવામાં આવે છે તે રીતે કુસ્તી જેવા કાર્યક્રમો રખાતા હતા, એવું લાગે. અંદર કોઠાર, પાણીનો હોજ, જેલ, તબેલો, અરે હાથીને બાંધવાના થાંભલા પણ જોયા. રાણીના અલગ ઓરડા, રસોડું વિગેરે વિગેરે… એક જગ્યા તો એવી હતી કેં જ્યાં તમે ઉભા રહો, તમને એમ જ લાગે કે જાણે ACની હવા પણ ઓછી પડે. અહીં સોનાના ચરૂઓની માન્યતા પણ છે. અહીં મેં બે થી ત્રણ પોઇન્ટ એવા જોયા કે જ્યાં ઘડો ફીટ થઇ શકે તેવી જગ્યા દીવાલમાં હતી. અને દીવાલ તુટેલી. એનો મતલબ એ કે શું અહીં દીવાલની અંદર આવા ઘડા સંતાડીને રખાતા? ત્યાબાદ અંડરગ્રાઉન્ડ પાણીની નહેર પણ જોઇ. ઉપરાંત એવી સિસ્ટમ રાખેલી છે, કે ચોમાસા દરમિયાન બધુ પાણી એક જગ્યાએ હોજમાં એકઠું થઇ શકે. દીવામાં રાખેલ નાની નાની જગ્યાઓ કે જેમાંથી બંદુક વડે દુશ્મનો પર ફાયરીંગ કરી શકાય. અહીં કિલ્લાની અંદર એક મૂર્તી – પથ્થર છે. જ્યાં કેટલીક જાતીના લોકો દ્વારા દર વર્ષે મીઠું – નમક ચડાવવામાં આવે છે. મને એ વાત જાણીને અત્યંત નવાઇ લાગી. કારણ કે કોઇ શ્રીફળ વધારે, કોઇ વળી બીજી કોઇ પ્રસાદી, પરંતુ અહીં તો નમક…! જેવી જેની શ્રદ્ધા…

આજે તો રૂપાયતન છું, ચાલો ફરીથી મંગળવારે જઇશ…કર્મભુમીમાં…ભાણવડમાં !!!

 

Click @ NBB – Delhi

This slideshow requires JavaScript.

Click…

Shutter Speed…

Aperture…

ISO…

આ બધા શબ્દો નથી સાહિત્યના, કમ્પ્યુટરના, કે પછી રેવન્યુના, આ શબ્દો છે ફોટોગ્રાફી ફિલ્ડના… જી, હા એક નવા ફિલ્ડ સાથે હું જોડાયો છે: ફોટોગ્રાફી… હમણાં બે દિવસ પહેલાં રાષ્ટ્રીય બાલ ભવન – નવી દિલ્હી દ્વારા આયોજીય ડીજીટલ ફોટોગ્રાફીના એક વર્કશોપમાં મેં હાજરી આપી હતી. નેશનલ બાલ ભવન – નવી દિલ્હી દર વર્ષે કોઇક ને કોઇક નવા વિચાર, નવી ટક્નોલોજી સાથે વર્કશોપ તથા તાલીમોનું આયોજન કરતું રહે છે. આ વખતે નેશનલ બાલ ભવન દ્વારા તા.11/09/2012 થી 15/09/2012 દરમિયાન ડીજીટલ ફોટોગ્રાફી માટેનો વર્કશોપ રાખ્યો હતો. જેમાં રૂપાયતન બાલ ભવન – જૂનાગઢના પ્રતિનિધિ તરીકે મને જવાનો મોકો મળ્યો. અને આના માટે હું અમારા રૂપાયતન બાલ ભવનના ડિરેક્ટર શ્રી હેમંતભાઇ નાણાવટી, મારા પિતાશ્રી ધરણાંતભાઇ બંધીયા, તથા અમારા તાત્કાલીન મામલતદારશ્રી વી.ઝેડ.ચૌહાણનો આભાર વ્યક્ત કરૂ છુ.

દસ તારીખે હું ત્યાં બાલ ભવનના પરિસર ખાતે પહોંચી ગયો. ત્યાં જઇ રજીસ્ટરમાં એન્ટ્રી કરી, અને સીધુ જ ગુજરાતી મગજે જોઇ લીધું કે ગુજરાતની એકેય એન્ટ્રી નથી. મારી પહેલી એન્ટ્રી હતી કે જેનું રાજ્ય ગુજરાત હોય. હું ઉપર હોસ્ટેલમાં ગયો. થોડીવાર પછી હું બધુ ગોઠવતો હતો, ત્યાં શબ્દો સંભળાયા: “ઉંધી ચાદર છે, સીધી પાથરો…” મારી ખુશીનો પાર ન રહ્યો. અહીં બીજા ગુજરાતી પણ આવી ગયા… ખરેખર આ ગુજરાતીપણું ક્યારે દુર થશે ? પછી તો ધીરેધીરે અમે લોકો 7 ગુજરાતી થઇ ગયા. ટોટલ અમે લોકો 28 જણ હતા. બધા અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા હતા. બે વ્યક્તિતો છેક મિઝોરમ તથા મણિપુરથી આવ્યા હતા. પહેલાં દિવસે તો અમે લાલ કિલ્લો જોવા નિકળી ગયા. દિલ્હીની સીટીબસ – એસી વાળી – નો લાભ લીધો… With Full Traffic… ઉભવાની જગ્યા પણ માંડ માંડ મળી શકતી હતી. કોઇક ટીકીટ ન લે તો પણ કંડક્ટર (માસ્તર)ને ખ્યાલ ન આવે તેવી ભીડ. (આવો વિચાર ગુજરાતીને જ આવે !) પણ મારા આ વિચારનું પણ ખંડન થઇ ગયું. અમે જેવા બસ સ્ટોપે નીચે ઉતર્યા કે તુરત જ DTCના કર્મચારી ત્યાં ઉભા હોય, અને ટીકીટ તપાસે. જેની પાસે ન હોય, તેને ₹ 200/- નો દંડ. અમારી પાસે તો હતી જ ! લાલ કિલ્લા પાસે પહોંચ્યાં. અંદર ગયા, પણ ક્યાંય પ્રવેશ દ્વાર દેખાય નહી. અમે લોકો પાર્કિંગમાંથી અંદર ઘુસી ગયા. ફોટોગ્રાફી કરવા લાગ્યા. એના માટેતો ત્યાં ગયા હતા… પરંતુ શોધખોળ કરતાં ખબર પડી કે અહીં દિલ્હીમાં સોમવારે બધા જાહેર સ્થળોએ રજા હોય છે. અમે નિરાશ થઇ, બાલ ભવન પરત ફર્યા. સાંજે જમ્યાં. વળી પાછું, ગુજરાતપણું… જમવાનું ફાવે નહી. અને છાશ વિનાતો ગળે ઉતરે જ નહીં. આજુ બાજુ ક્યાંય છાશ કે દહીં પણ મળે નહીં. પરંતુ મનને સમજાવી લીધું કે આવા ધોખા ન કરાય, આપણે ક્યાં અહીં કાયમી રહેવું છે? માત્ર 5 દિવસનો જ તો સવાલ છે…

સવારે દસ વાગ્યે ફોટોગ્રાફીનું શેશન શરૂ થયું. આશિશભાઇ ભટ્ટાચાર્ય તથા રાજેન્દ્રકુમાર વધવા અમારા ફોટોગ્રાફીના ફેકલ્ટી હતા. તેઓએ બન્નેનો પરીચય આપ્યો અને અમારો બધાનો પરીચય લીધો. મારા પરીચયમાં મેં નામ તથા જૂનાગઢ બાલ ભવન, ગુજરાત એવું કહ્યું. એટલે આશીશભાઇએ કહ્યું “उसका नाम क्या है?” મેં જવાબ આપ્યો: “રૂપાયતન”. એણે કહ્યું: जी हा, में वहा आया था, बहुत अछ्छी जहः है. આશિશભાઇ બે થી ત્રણ વર્ષ પહેલાં અહીં ચોમાસામાં આવેલા એવું તેણે જણાવ્યું. અને ફરીથી તેઓ માર્ચ-2013માં ગુજરાતમાં ફોટોગ્રાફી માટે આવશે. મેં તેને રૂપાયતન આવવાનું આમંત્રણ આપ્યું. તેણે ચોક્કસ આવવા જણાવ્યું. આશીશભાઇ બહુ જ સારા એવા ફોટોગ્રાફરની સાથે ઘણુ બધુ ફરેલા છે, અને હિન્દી સિવાયની ત્રણ થી ચાર ભાષાઓ જાણે છે. ગુજરાતી પણ થોડું ઘણું જાણે છે. અમે તેની પાસે ગુજરાતીમાં કખગઘ… લખવ્યા હતો. રાજેન્દ્રકુમાર વધવા ત્યાંના ફોટોગ્રાફી ડીપાર્ટમેન્ટના ઇનચાર્જ છે. તેઓ જન્મજાત ફોટોગ્રાફર છે. તેમની વધવા ફેમેલીમાં જ ફોટોગ્રાફી પહેલેથી જ શોખની વસ્તુ રહી છે. તેમના દાદા, પિતા, તે અને હવે તેમની પુત્રી બધા ફોટોગ્રાફી ફિલ્ડ સાથે સંકંળાયેલા છે. પહેલાં દિવસે તો ફોટોગ્રાફીની હિસ્ટ્રી વિષે કહ્યું. ત્યારબાદ વિવિધ કેમેરાના પ્રકારો વગેરે જણાવવામાં આવ્યા. વચ્ચે એક વાગ્યે લંચ બ્રેક પડે અને ફરીથી બપોર પછીનું શેશને સ્ટાર્ટ થાય. સાડા ચાર થી પાંચ વાગ્યા સુધીમાં બીજુ શેશન પુરૂ થતું. ફોટોગ્રાફીમાં અમે નવા નવા અખતરા પણ કર્યા. અમે ત્રણ જણ – હું, કૃણાલભાઇ તથા નિતિશભાઇએ ભેગા થઇ, રાત્રે ભાલ ભવનના મેદાનમાં કેમેરનામાં કેટલાંક સેટીંગ્સો કરી, મારા મોબાઇલની ટોર્ચ વડે દિલ્હી, જેવા શબ્દો લખ્યાં. કેમેરાનું શટ્ટર ખુલ્લુ રાખી, ટોર્ચથી જે લખો, તે એક ઇમેજના રૂપમાં કન્વર્ટ થઇ જાય…

દિલ્હીમાં મેટ્રોની મુસાફરીનો પણ આનંદ લીધો. મેટ્રો એટલે મેટ્રો… બહુ જ મોટો પ્રોજેક્ટ છે. મેન્ટ્રો સ્ટેશનમાં અંદર જઇ,  ટોકન લેવાનું તથા, તેને મશીનમાં ડ્રેગ કર્યા પછી, જ સ્ટેશનમાં અંદર જવાનો દરવાજો ખુલે. એ ટોકન લઇને જે મેટ્રોમાં જવાનું હોય, તેમાં મેટ્રો આવે એટલે કોઇની પણ રાહ જોયા વિના ચડી જવાનું, નહીંતર રહી જશો. અંદર મેટ્રોમાં તેના ડ્રાઇવર સિવાય બીજા કોઇ મેટ્રો કર્મચારી દેખાય નહીં. માત્ર મુસાફરો. દરવાજા ઉપર મેપ દર્શાવેલો હોય છે. જેમાં હાલનું સ્ટેશન પણ બતાવે, અને તેના પછી ક્યુ આવી રહ્યું છે તે પણ ડિસ્પ્લે થાય.અને સાથે સાથે સુચના પણ સંભળાય: अगला स्टेशन राजीव चौक है. आपकी बाईऔर दरवाजा खुलेगा. બન્ને બાજુ દરવાજા હોય છે. જે બાજુ પ્લેટફોર્મ હોય, તે બાજુનો જ દરવાજો ખુલે. Incredible Metro…

દિલ્હીમાં લાલ કિલ્લો, ચાંદની ચૉક, લોટસ ટેમ્પલ, દિલ્હી ગેટ, ઇન્ડિયા ગેટ, બહારથી રાષ્ટ્રપતિ ભવન, સંસદ વિગેરે ઘણા બધાં સ્થળોની મુલાકાત લીધી. કેરોસીન મુક્ત દિલ્હી શહેર… ઠેર ઠેર પોલીટીકલ માણસોના પોસ્ટરો… એક તરફ ગગન ચુંબી ઇમારતો તો એક તરફ રેલ્વે સ્ટેશન નજીક ઝુંપડ પટ્ટીઓ. ક્યાંક સામાન્ય માણસતો શ્વાસ પણ ન લઇ શકે તેવી ગંદકી, તો ક્યાંક શાંતિવન જેવી સુંદર જગ્યાઓ. એક તરફ ટાટા ક્રોમા જેવા મોટા મોટા ઇલેક્ટ્રોનિક્સના શોરૂમો છે, તો પાઇરસીની એસ્સીતેસ્સી કરી નાખે તેવી ચાંદની ચોકની બજારો છે. દિલ્હી ખરેખરે અદ્દભુદત શહેર છે !